ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પણ લોકોને સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવાની અપીલ કરી છે. દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા માટે કલેક્ટરે આ આદેશ બહાર પાડ્યો છે. આ સાથે જ દ્વારકાધીશ જગતમંદિર પણ સાંજે 7થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
ઈમરજન્સી સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ
કલેક્ટર દ્વારા દ્વારકામાં શોપિંગ સેન્ટરોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા પછી તમામ એક્ટિવિટી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. ઈમરજન્સી સિવાય કોઈ પણ લોકોને ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
જામનગરમાં આજે રાતે 8થી સવારે 6 સુધી બ્લેક આઉટ રાખવા અપીલ
જામનગર જિલ્લામાં આજે રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેક આઉટ રાખવાની અપીલ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીભર્યા વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઔદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઈન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.