ભાવનગર શહેરના એસ.ટી. સ્ટેન્ડ પાસે ગત મોડી રાત્રીના અરસા દરમિયાન મહુવાના તાવેડા ગામના યુવકે એક સગીરા સાથે ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે બન્નેને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઉક્ત બનાવને લઈ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી. જો કે, બન્નેના પરિવારજનોએ પોલીસ કાર્યાવહી કરવાનો ઈન્કાર કર્યો હોવાનુ જાણવા મળ્યુ હતું.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના તાવેડા ગામે રહેતા રાજદિપભાઈ વલકુભાઈ સીંધા (ઉ.વ 19)એ ગત મોડી રાત્રીના અરસા દરમિયાન એક 17 વર્ષિય સગીરા સાથે ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ પાસે આવી કોઈ અગમ્ય કારણસર દુકાનેથી પાણીની બોટલ મેળવી તેમાં કઈક પ્રવાહી ભેળવી ઝેરી પ્રવાહી સગીરા સાથે પી લેતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને લોકોએ 108ને જાણ કર્યા બાદ બન્નેને તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બન્નેએ ક્યા કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયુ ન હતું. પરંતુ બનાવને લઈ હોસ્પિટલ પોલીસ ચોકીએ એન્ટ્રી કરી હતી. દરમિયાન બનાવની જાણ થતા યુવક અને તરૂણીના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરંતુ બનાવ અનુસંધાને કોઈ પોલીસ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યુ હતું.