Last Updated:
જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર જેસીબી ચાલક દ્વારા ખોદકામ કરવાના કારણે ટોરેન્ટ ગેસની પાઇપલાઇન ડેમેજ થઈ હતી. જેના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી.
જુનાગઢ: શહેરના ઝાંઝરડા ચોકડી પાસે બુધવારના રોજ સવારના 10 વાગ્યા આસપાસ ટોરેન્ટ ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં માતા પુત્રી સહિત ત્રણ જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે કે સમગ્ર ઘટનામાં બે જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ થતાં કલેકટર, પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળ ખાતે દોડી જઈ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનામાં 39 વર્ષીય રૂપા સોલંકી તેમજ તેમની 2.5 વર્ષની દીકરી ભક્તિ બ્લાસ્ટની ઘટનામાં બળીને મૃત્યુ પામી હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનામાં 50 વર્ષીય હિરેન રાબડીયા નામના વ્યક્તિનું પણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં રૂપાબેનના પતિ શૈલેષ સોલંકી તેમજ નાથાભાઈ પટેલ નામની વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં 45 વર્ષીય ખાણીપીણીનો વેપાર કરનારા શૈલેષ સોલંકી દ્વારા જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 105, 110, 326 સહિતની કલમ હેઠળ જેસીબીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં શૈલેષ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતે ઝાંઝરડા ચોકડી ખાતે પકોડા તેમજ ઘુઘરા વિગરે ફાસ્ટ ફૂડનો વેચાણ કરે છે. બુધવારના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં શૈલેષ સોલંકી, રૂપા સોલંકી અને ભક્તિ સોલંકી દુકાન ખાતે આવી ગયા હતા. તેમજ સવારના 10 વાગ્યે પોતે દુકાનની બહાર લારીએ કામકાજ કરતા હતા. જ્યારે કે પોતાની પત્ની, દીકરી તેમજ મિત્ર હરેશ રાબડીયા દુકાનમાં હતા. તે સમયે દુકાનની બહાર જેસીબી મશીન દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. થોડીવારમાં જેસીબી ચાલક દ્વારા જમીનમાં નાખેલ ટોરેન્ટ ગેસની લાઈનમાં અડી જતા એકદમ ઝડપથી ગેસ નીકળવાનો અવાજ શરૂ થઈ ગયો હતો. તેમજ જેસીબી ચાલક દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો તેમાં અચાનક આગ લાગી હતી. જે આગ સીધી મારી રેકડી તેમજ દુકાન અને પોલીસ ચોકી તરફ ફેલાઈ હતી. દુકાનમાં અંદર રહેલા મારા પત્ની અને દીકરીને બહાર કાઢવા ગયો હતો પરંતુ આગ દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું. હું પણ શરીરે દાઝી જતા પાછો વળી ગયો હતો તેમજ આજુબાજુના માણસોએ પણ મને પકડી લીધો હતો.
સમગ્ર મામલે હાજર રહેલા વ્યક્તિઓ તેમજ 108 ની ટીમ દ્વારા પાંચ જેટલા દાઝી ગયેલા વ્યક્તિઓને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ થાય તે પૂર્વે જ ભક્તિ તેમજ હરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ ભક્તિની માતા રૂપા સોલંકીનું ટૂંકી સરોવર દરમિયાન મૃત્યુ થયું હતું.
બનાવ સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમાં જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર જેસીબી ચાલક દ્વારા ખોદકામ કરવાના કારણે ટોરેન્ટ ગેસની પાઇપલાઇન ડેમેજ થઈ હતી. જેના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. સમગ્ર બનાવવામાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. બનાવ સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા અમને તપાસ સોંપવામાં આવી છે. જેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને સોંપવામાં આવશે. જિલ્લા કલેકટર તરફથી ખાત્રી પણ આપવામાં આવી છે કે બનાવ સંદર્ભે જે કોઈ પણ કસૂરવાર હશે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
Junagadh,Gujarat