અમદાવાદ: ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર પોલીસ તંત્ર દ્વારા વિભિન્ન પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં આવેલા છે. ખાસ કરીને ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરેના ખરીદ, વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેર એસીપી નીરજકુમાર બડગુજર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. જેના નિયમોનું જાહેર જનતાએ પાલન કરવું જરૂરી છે. જેમાં આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા, સમાજ કે ધર્મ પર આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના જથ્થાબંધ ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવા કે ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ સાથે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, પાકા સિન્થેટિક, ટોકસ્ટિક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ કે અન્ય હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડિગ્રેબલ હોય તેવી દોરી, નાયલોન કે ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા આયાતી દોરાનો આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવા ઉપર તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગ ઉડાડનાર વ્યક્તિ પર તેમજ જાહેર માર્ગ ઉપર પશુઓને ઘાસચારો નાખતા કે ઘાસચારાનું વેચાણ કરતી વ્યક્તિ વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ શકે છે.
વધુમાં કપાયેલા પતંગો અને દોરા મેળવવા માટે હાથમાં લાંબી લાકડીઓ, વાંસની પટ્ટીઓ, લોખંડ કે ધાતુના તાર, દોરીના લંગર બનાવી જાહેર માર્ગ દોડાદોડી કરવી કે પછી ઇલેક્ટ્રિક કે ટેલિફોનના તાર પર ફસાયેલ પતંગ મેળવવા તાર પર લંગર નાખવા, લાંબી વાંસ કે લોખંડની પટ્ટી વડે તારમાં ભરાયેલા પતંગ કે દોરી કાઢનાર વ્યક્તિ પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પતંગ ઉડાડતી વખતે સવારના 6 થી 8 અને સાંજના 5 થી 7 ના સમયગાળા દરમિયાન પક્ષીઓના રક્ષણ અર્થે પતંગ ઉડાડવી નહિ. તેમજ જાહેર માર્ગ, ફૂટપાથ કે ભયજનક ધાબા પર ઊભા રહીને પતંગ ચગાવવી ન જોઈએ.
જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ઉલ્લંઘન કરે છે તો તે વ્યક્તિ વિરુદ્ધ કડક કાયદાકીય કરવામાં આવશે. જેમાં ધ એન્વાયરમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ 1986, ધ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ઓફ એનિમલ એક્ટ 1960, ધ વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 163 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135, ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 અને 117 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ
p22.parth@gmail.com પર સંપર્ક કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર