Last Updated:
દાહોદની નીમનળિયા પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોએ મચાવ્યો હંગામો, શાળાના શિક્ષકો શાળામાં પ્રેમલીલા કરતા હોવાનો લગાવ્યો આક્ષેપ
દાહોદ: શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. સરસ્વતીના ધામમાં શિક્ષકોની પ્રેમલીલાના આરોપ લાગ્યા છે. નીમનળિયા પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષકો શાળામાં પ્રેમલીલા કરતા હોવાનો આક્ષેપ છે. શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમલીલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રામજનોએ શાળાના આચાર્યને હાર પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી પગલાં લે તેવી માગ છે. બીજા બાજુ, આચાર્ય અને શિક્ષિકાએ સમગ્ર આક્ષેપ ફગાવ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, ત્રણ વખત પ્રેમલીલાની બાબત સામે આવી છે. એમાં આચાર્યએ શિક્ષકને માર માર્યો હતો. જેના લીધે શિક્ષકનો હાથ ભાંગી ગયો હતો. શિક્ષકોની પ્રેમલીલાથી બાળકો પર ખોટી અસર પડે છે. સાથે જ ગ્રામજનો બે શિક્ષક અને એક શિક્ષિકાને શાળામાંથી ખસેડવાની માગ કરી રહ્યા છે.

આચાર્ય અને શિક્ષિકાએ આક્ષેપ ફગાવ્યા
ગ્રામજનોના આક્ષેપ ફગાવતા આચાર્યએ જણાવ્યું કે, કોઈ પ્રેમલીલા નથી. બીજી બાજુ, આચાર્યએ શિક્ષક પર શૈક્ષણિક કામગીરી ન કરવાનો આરોપ મૂક્યો છે.
બીજી તરફ જે શિક્ષિકા પર આક્ષેપ કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે, તમામ આક્ષેપ ખોટા છે. હું એમને રાખડી બાંધુ છું. અમારી વાત ખાલી રજાની હતી. બીજી કોઈ સમસ્યા નથી. નોંધનીય છે કે, શિક્ષિકાના પતિ પણ આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
April 05, 2025 8:59 AM IST