IPL 2025 : છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો અને પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરી રહ્યું હતું. ભારતીય સેના પાકિસ્તાનના આ હુમલાઓનો જોરદાર જવાબ આપી રહી હતી અને આતંકને પોષતા આ દેશની યોજનાઓને સતત નિષ્ફળ બનાવી રહી હતી. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ હતી, પરંતુ શનિવારે બંને દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી.
શું આઈપીએલ 2025 મે મહિનામાં શરૂ થશે?
હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું છે ત્યારે શું આઇપીએલ 2025 ફરી શરૂ થશે કે કેમ તે મોટો સવાલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે આઇપીએલ 2025ને એક સપ્તાહ માટે સ્થગિત કરી દીધી છે. હાલની પરિસ્થિતિ જોતાં બીસીસીઆઇ આઇપીએલ 2025ની બાકીની મેચોનું આયોજન ફરી કરશે કે કેમ, તેના પર સૌની નજર છે.
જોકે મે મહિનામાં ફરી લીગ શરુ થશે કે નહીં તે અંગે બોર્ડ તરફથી હાલ કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. એબીપી ન્યૂઝના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ રવિવારે મે મહિનામાં આઇપીએલ શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે. સ્પોર્ટ્સ તકના જણાવ્યા અનુસાર આઈપીએલ 2025 ની બાકીની મેચોનું આયોજન આવતા અઠવાડિયાથી થઈ શકે છે.
આ પણ વાંચો – રોહિત શર્મા પછી વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે, BCCI એ કહ્યું – પુનર્વિચાર કરે
હવે 16 મેચ રમાવાની છે
આઈપીએલ 2025માં અત્યાર સુધી 57 મેચ રમાઈ ચૂકી છે જ્યારે યુદ્ધની સ્થિતિને કારણે 58મી મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. હવે આ લીગમાં 16 મેચો રમાવાની છે, જેમાં ફાઈનલ અને પ્લેઓફનો સમાવેશ થાય છે. જોકે જ્યારે આઇપીએલને સ્થગિત કરવામાં આવી ત્યારે ઘણા વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશ જવા રવાના થઈ ગયા હતા. આવી સ્થિતિમાં બીસીસીઆઇ સામે મોટો પડકાર એ રહેશે કે, તેમને પાછા કેવી રીતે બોલાવવા કારણ કે વિદેશી ખેલાડી વિના તેનું આયોજન કરવું શક્ય લાગતું નથી.