Last Updated:
ગુજરાતમાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 4 હજારથી વધુ રેડ પાડીને 616 બાળકોને મુક્ત કરાવીને બાળકોને મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી રૂ. 72.88 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
World Day Against Child Labour: આવતી કાલે 12 જૂન એટલે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ. સામાન્ય રીતે તમે ચા પીવા માટે ટપરી પર જાઓ અને ત્યાં એક કુમળી વયનું બાળક તમારા માટે ચા લઈને આવે તો શું થાય? તમારું હૃદય એક સમયે ઝડપી ગતિએ ધબકવા લાગે અને તેનો ચહેરો જોતાં જ તમને તમારા નાના બાળકો યાદ આવી જાય. જ્યારે કુમળી વયનું બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર કામ કરતું જોવા મળે ત્યારે માનવતાની દૃષ્ટિએ જ તો ખરું જ, સાથે સાથે એક પ્રકારે દેશની પ્રગતિ પણ અટકી જાય છે. જેથી સરકાર પણ આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે.
આ માટે ભારત સરકારે વર્ષ 1986માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત 14થી 18 વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા-વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. જે માટે ગુજરાતમાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી કાર્યરત છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ’ કરવામાં આવ્યું છે. આ કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ સુધારા મુજબ રાજ્યમાં આ કાયદાના ભંગ બદલ 6 માસથી 2 વર્ષ સુધીની કેદ અથવા રૂ. 20 હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો કરતાં બીજી વાર પકડાય ત્યારે 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી જેલની સજા પણ થઈ શકે છે.
નોંધનીય છે કે, આ કાયદામાં સુધારો કરનાર ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યૂ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.
રેડ પાડી મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. સાથે જ આ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
જાન્યુઆરી 2020થી એપ્રિલ 2025 સુધીમાં રાજ્યભરમાં આવી રીતે 4,824 જેટલી રેડ કરીને 455 બાળ શ્રમિકો અને 164 તરુણ શ્રમિકો એમ કુલ 616 બાળ-તરુણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. જે અંતર્ગત મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી કુલ રૂ. 72.88 લાખ કરતાં વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. રાજ્યમાં આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ 791 ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 339 એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં આ વર્ષે “સેફ એન્ડ હેલ્ધી પેઢી” થીમ પર વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય યુવાન કામદારોની સલામતી, આરોગ્યમાં સુધારો કરવાનો અને તમામ પ્રકારની બાળ મજૂરીનો વહેલામાં વહેલી તકે અંત લાવવાનો છે.
Gandhinagar,Gujarat
June 11, 2025 3:24 PM IST