Last Updated:
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં 50 % થી પણ ઓછું પાણી બચ્યું છે. ત્યારે આગામી દિવસમાં 156 ગામો સહિત દાહોદ શહેરને પાણી નહિ મળે તેવા સંકેત. ત્યારે છેલ્લા છ માસમાં 26 ફૂટ કડાણા ડેમમાંથી પાણી ઘટ્યું છે અને ડેમમાં રહેલું પાણી બીજું 20 ફૂટ ઘટે તો ડેમ ખાલી થઈ જાય.
દાહોદ : રાજ્યના ત્રીજા નંબરનો મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઉનાળાની શરૂઆતમાં અડધો થઈ ગયો છે. જળાશયમાં 50% ટકા થી પણ ઓછું પાણી ડેમમાં ઉપલબ્ધ રહ્યું છે. ત્યારે કડાણા ડેમમાંથી 8 જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડતી સુજલામ સુફલામ કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ 3300 ક્યુસેક પાણી ખેડાને લહાણી કરવામાં આવી રહ્યું છે. કડાણા જળાશયની હાલની સ્થિતિ જોતા મહીસાગર સહિત અન્ય જિલ્લામાં પીવાના અને ખેડૂતો માટે સિંચાઈના પાણીની ચિંતા સતાવી રહી છે.
હાલ કડાણા જળાશયની સ્થિતિ જોતા આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓને અપાતું સિંચાઈનું પાણી આજ રીતે અપાશે તો ઉનાળાના અંત સુધી ડેમ તેની ન્યૂનતમ સપાટી નજીક પહોંચી જશે. 2024ના ચોમાસા બાદ ઓક્ટોમ્બર માસમાં ડેમ તેની મહત્તમ સપાટી 419 ફૂટ સાથે 100% સંપૂર્ણ ભરાયેલો હતો. 2024ના અંતે 5 ફૂટ ઘટી 414 ફૂટ પહોંચી હતી. જ્યારે 2025ના પહેલા ત્રણ માસમાં સપાટી 17 ફૂટ ઘટતા માર્ચ મહિનાના અંતમાં 396 ફૂટ નોંધાઈ હતી. એટલે કે છેલ્લા છ માસમાં ડેમમાંથી 26 ફૂટ પાણી છોડવામાં આવતા હાલ 50% થી પણ ઓછું પાણી ડેમમાં બચ્યું છે. આ પરિસ્થિતિમાં આગામી સમયમાં કડાણા જળાશયમાંથી મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાને અપાતું પીવાનું પાણી પણ મળવું મુશ્કેલ બની રહેશે.
જળાશયમાં ગત વર્ષે માર્ચ મહિનાના અંતે સપાટી 400 ફૂટ હતી. જ્યારે ચાલુ વર્ષે 395 ફૂટ પહોંચી જવા પામી છે. એટલે કે ગત વર્ષે કરતાં સપાટીમાં 4 ફૂટનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે હાલમાં કડાણા ડેમની સપાટીમાં દિવસેને દિવસે એક ફૂટથી પણ વધુ સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ કડાણા ડેમમાં 2045 ક્યુસેક પાણી આવક સામે સપાટી 3700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાંથી આપવામાં આવતું 8 જિલ્લાના પાણી ઉપર સત્તાધીશો દ્વારા રોક લગાવી દેવામાં આવી છે.
કડાણા ડેમની હાલની સપાટી 395 ફૂટ છે. જ્યારે આવક 2045 ક્યુસેક છે જેની સામે 3700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં 300 ક્યુસેક ડાબા કાંઠા કેનાલ, 50 ક્યુસેક જમણા કાંઠા કેનાલ અને 60 ક્યુસેક પાણી દાહોદ શહેરને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે જે રીતે 3300 ક્યુસેક પાણી નડિયાદ મહી સિંચાઈ વિભાગને આપવામાં આવી રહ્યું છે તે સ્થિતિમાં આગામી દિવસોમાં મહીસાગરના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે નહીં. આ સિવાય સંતરામપુર-કડાણા-લુણાવાડા તેમ જ ગોધરા તાલુકાના આશરે 156 ગામો તેમજ દાહોદ શહેરને અપાતું પીવાનું પાણી પણ આગામી દિવસોમાં નહીં મળે તેવા સંકેતો ઉદ્ભવી શકે છે.
છેલ્લા 6 માસની સપાટી
ઉનાળો શરૂ થતાની સાથે જ સપાટી પહોંચી છે ત્યારે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ સર્જાશે?
April 05, 2025 5:35 PM IST