ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારની રાત્રે પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાઓ જાહેર કર્યા પરંતુ ભરતની સુદર્શન મિસાઈલે પાકની નાપાક મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી. જે બાદથી જ ભારતીય સેના દેશની રક્ષા માટે ખડેપગે છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. ત્યાં જ ગુજરાત પોલીસ પણ રાજ્યમાં અરાજક્તા અને ભય ના ફેલાય તે માટે સાવચેતીવા પગલા લઈ રહી છે.
ગુજરાત પોલીસે ગઈકાલે ચાર લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપતા કહ્યું કે, રાજ્યના અલગ-અલગ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને દેશની ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનારા ચાર લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રકારની કોઈ પણ હરકત ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને આદેશ અપાયા છે કે આ પ્રકારની કૃત્ય કરનારા વિરૂદ્ધ તાત્કાલિક પગલા ભરવા અને કાર્યવાહી કરવી.
અન્ય એક ટ્વીટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ગુજરાતમાં 15મી મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો તમામ લોકોને વિનંતી છે કે, આ અંગે સહકાર આપજો અને માર્ગદર્શિકાનું પાલન કરજો.
આ પણ વાંચો: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ઈન્ડિયન ઓઈલની લોકોને ખાસ અપીલ, પેટ્રોલ-ડીઝલ સ્ટોકને લઈ કહી મોટી વાત
રાજ્ય ગૃહ વિભાગની સૂચના અનુસાર, 15 મે સુધી રાજ્યના કોઈપણ ભાગમાં જાહેરસ્થળો પર કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા કે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં નહીં આવે. આવો નિર્ણય કોઈ ખાસ સમારોહ કે સામૂહિક કાર્યક્રમ હોય તો પણ લાગૂ રહેશે. આ પ્રતિબંધનો ઉદ્દેશ જનતાની સલામતી અને શાંતિ જાળવવો છે. સરકારે નાગરિકોને સહકાર આપવા તથા તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ પણ કરી છે.